લોકસભાની ચૂંટણીને લઇને કમલમ ખાતે ભાજપની મંથન બેઠક યોજાઇ
લોકસભાની ચૂંટણીને લઇને કમલમ ખાતે ભાજપની મંથન બેઠક યોજાઇ
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે, મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ માટે વિધાનસભાની ચૂંટણીના ક્ષોભજનક પરિણામ બાદ પરિસ્થિતિ કફોડી બની છે. ત્યારે, લોકસભાની ચૂંટણીનો ગઢ જિતવા માટે ભાજપે કમર કસી લીધી છે. તો, બીજી તરફ કૉંગ્રેસ પણ ભાજપના ગઢમાં કાંગરા ખેરવવાની વેતરણમાં લાગી ગયો છે. ભાજપના નેતાઓ ગત 2014ની લોકસભા ચૂંટણીની માફક લોકસભાની 26 બેઠક મેળવવા કમર કસી રહ્યા છે.
ચૂંટણીલક્ષી કાર્યક્રમોની કરી જાહેરાત
ત્યારે, આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, આગામી દિવસોના કાર્યક્રમ બાબતે બેઠકમાં ચર્ચા થઈ છે. નગરપાલિકાના સભ્યોનો અભ્યાસવર્ગ સફળરીતે પૂર્ણ થયો છે. જેમાં, ચૂંટણીલક્ષી નવા કાર્યક્રમો તૈયાર કરવા અંગે ચર્ચા વિચારણા અને મંથન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય સ્તરે ભાજપ દ્વારા કાર્યક્રમોનું કરાશે આયોજન
ગ્રાસ રૂટ પર ભાજપને પ્રભાવશાળી દેખાડવા અને ભાજપના કાર્યકરોને વધારે એક્ટિવ કરવા માટે આગામી દિવસોમાં જિલ્લા તાલુકાના પંચાયતના સભ્યોને પણ અભ્યાસવર્ગ યોજાશે. ત્યારબાદ અન્ય કાર્યકરોને લોકસભા વિધાનસભા કક્ષાએ મોકલાશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભાજપ દ્વારા વિસ્તાર યોજનાનું આયોજન લોકસભા ચૂંટણીને લઇને હાથ ધરવામાં આવ્યુ છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને નજીકના જ ભવિષ્યમાં ચૂંટણી આવનારી છે. ભાજપે અગાઉથી જ તૈયારીઓ આરંભી છે, જેના ભાગરૂપે આજરોજ એક ખાસ બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 2019 માટેની પૂર્વ તૈયારીઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં વધારે ખરાબ અને ચિંતાજનક હોવાના કારણે હવે ભાજપે ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં પોતાનો દેખાવ ઉજ્જવળ કરવા માટેની કવાયત હાથ ધરી છે.
ગુજરાતનો ગઢ જાળવી રાખવા ભાજપના પ્રયાસ
પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રભારીઓ સહિતના આગેવાનોને ખાસ હાજર રહ્યા હતા અને આગામી ચૂંટણી અંગેની રણનીતિ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં ભાજપના કાર્યક્રમોની વિસ્તારપુર્વકની રણનીતિ અને પ્રજાલક્ષી કાર્યક્રમોની છણાવટ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન લોકસભા ચૂંટણીની તમામ 26 બેઠકો અંકે કરવાનો લક્ષ્યાંક પણ ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે. કારણ કે, 2014ની લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે ભાજપનો લોકપ્રિયતાનો ગ્રાફ સતત નીચે રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશ અને બિહાર, રાજસ્થાનમાં ક્ષતિ થવાની સંભાવના છે. ત્યારે, આ ક્ષતિ અન્યત્ર પુરવા અને ગુજરાત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ ટાઉનમાં ભાજપનો ગઢ જળવાઇ રહે તે માટે કામે લાગી જવા ભાજપે તૈયારી આરંભી દીધી છે.