જિંદાલ નેચર કેરમાં ઈલાજ કરાવશે હાર્દિક, બેંગ્લોર પહોંચ્યો
જિંદાલ નેચર કેરમાં ઈલાજ કરાવશે હાર્દિક, બેંગ્લોર પહોંચ્યો
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હાલ બેંગ્લોરમાં છે. 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલનું શરીર નબળું પડી ગયું હતું. જિંદાલ નેચરક્યોરમાં 10 દિવસની ટ્રિટમેન્ટ કરાવવા માટે હાર્દિક પટેલ મંગળવારે સવારે બેંગ્લોર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતાં તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શરદ યાદવે હાર્દિકને પાણી પાયું હતું. ટ્રિટમેન્ટ બાદ હાર્દિકે ફરી ઉપવાસ આંદોલન સક્રિય કર્યું હતું અને 12મી સપ્ટેમ્બર બુધવારે હાર્દિકે પારણાં કરી લીધાં હતાં.
હાર્દિક પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, 'અમારા કૃષક મહારાજા કેમ્પા ગૌડાની પવિત્ર ભૂમિ કર્ણાટકની આઈટી સિટી બેંગ્લોર પહોંચ્યો. ઉપવાસ બાદ સ્વાસ્થ્યને ઠીક અને મજબૂત કરવા માટે જિંદાલ નેચરો કેસમાં ટ્રિટમેન્ટ કરાવીશ. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી તન-મન મજબૂત કરી સમાજના સંઘર્ષ માટે પુનઃ મજબુત થવા ઈલાજ કરાવવા આવ્યો છું.' એક બાજુ હાર્દિક પટેલ બેંગ્લોરમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં એસપીજીના લાલજી પટેલે સરકાર સામે બાંયો ચઢાવી છે અને તેઓએ પણ આંદોલન સક્રિય કરવાની ચીમકી ઉચ્ચારતાં સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
જિંદાલમાં 10 દિવસ માટે હાર્દિકે તારીખ બુક કરાવી દીધી છે. જિંદાલના સ્પોકપર્સને કહ્યું કે ઈન્સ્ટિટ્યૂટે હાર્દિક પટેલને ઈમેલ મોકલીને સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ અહીં ટ્રિટમેન્ટ કરાવવા તો આવી શકે છે પણ જ્યાં સુધી જિંદાલ નેચર કેરમાં રહે ત્યાં સુધી અહિં કોઈપણ પ્રકારની પોલિટિકલ મિટિંગ કે ચર્ચા ન થવી જોઈએ. જણાવી દઈએ કે અહીં હાર્દિક પોતાના કેટલાક સહાયક સાથે રોકાશે.
આ પણ વાંચો- સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર