નબળાં ચોમાસા બાદ સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ આંદોલન છેડ્યું
સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોનું આંદોલન
રાજકોટઃ આ વર્ષે ચોમાસું અતિશય નબળું રહ્યું છે, અને તેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં અતિશય વધારો થયો છે. મોટાભાગના વિસ્તારોના ખેડૂતોનો પહેલો ફાલ નકામો ગયો છે, જૂનાગઢમાં તો વાવણી પર ભારે વરસાદ થતાં પાક પર બબ્બે વાર પાણી ફરી વળ્યું હતું. હવે ખેડૂતોએ માંડ કરીને પાક ઉગવ્યો છે ત્યાં પાણીની અછત તેમને મારી રહી છે. પાણીની અછતને કારણે સરકારે નર્મદા કેનાલ પણ બંધ કરી દીધી, જેને પગલે ખેડૂતો સરકારથી નારાજ થયા છે.
ખેડૂતોનું આદોલન
મોરબી જિલ્લાના ખેડૂતો સિંચાઈના પાણીની માગણી સાથે છેલ્લા એક અઠવાડિયાથી ધરણાં પર બેઠા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે કેનાલ કાંઠેના મશીન બંધ કરી દીધા બાદ મોરબીના પાડોસી જિલ્લા સુરેન્દ્રનગરના ખેડૂતોએ બુધવારે લખતરમાં બંધ પાળ્યો હતો. કેનાલ દ્વારા મોતિસર તળાવ સુધી પાણી પહોંચડવામાં આવતું હતું જ્યાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી ખેંચતા હતા.
અત્યારે જ પાઈપ કેમ કાઢી?
આંદોલન કરી રહેલ ખેડૂતોના નેતા હસમુખભાઈ હાડીએ કહ્યું કે, આ પાઈપ અહીં છેલ્લા 10 વર્ષથી હતી. હવે અત્યારે તેઓ કેમ પાઈપ કાઢી રહ્યા છે? 12,000 જણાની વસ્તી ધરાવતા લખતર માટે મોતિસર તળાવ એકમાત્ર પાણીનો સોર્સ છે. શુક્રવારે ખેડૂતોએ લખતર મામલતદારને આવેદન પત્ર આપ્યું, જેમાં માગણી કરવામાં આવી છે કે તેમને ફરી કેનાલમાં પાઈપ નાખવા દેવામાં આવે. હસમુખ ભાઈએ કહ્યું કે નબળાં ચોમાસાને કારણે ખરીફ પાક ફેલ થયા બાદ ખેડૂતોએ ઘઊં અને જીરું વાવ્યાં છે. હવે અમારા રવિ પાક (શિયાળુ પાક) માટે અમારે પાણીની જરૂર છે.
ખેડૂતો ગેરકાયદેસર રીતે પાણી ખેંચે છે
જ્યારે નર્મદા ડેમનું મેનેજમેન્ટ કરતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે કહ્યું કે ખેડૂતો કેનાલમાંથી ગેરકાયદેસર રીતે પાણી ખેંચી રહ્યા હતા. સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ચીફ એન્જિનિયર ઈન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, આખા કચ્છ અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ તથા પીવા માટે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ પાણી સપ્લાય કરે છે. આ કેનાલમાંથી સીધું પાણી ખેંચવા માટે ખેડૂતોને મંજૂરી નથી. ખેડૂતોએ ગેરકાયદેસર રીતે કેનાલ કાંઠે પાઈપ લાઈન નાખી હતી, અને તેને કારણે કેનાલનું માળખું ખરાબ થઈ શકે છે અને હોનારત ઉદ્ભવી શકે છે, જે માણસની જિંદગી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.