સુરતના કામરેજ ચાર રસ્તા પાસે ટ્રાફિકના મુદ્દે લોકોના સ્વયંભૂ ધરણાં
સુરતમાં લોકોએ ટ્રાફિકના મુદ્દે સ્વયંભૂ ધરણા કાર્યક્રમ યોજીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકો અહીંના ભારે ટ્રાફિકથી પરેશાન છે. જાણો વધુ અહીં.
ગુજરાતમાં અમદાવાદમાં તો ટ્રાફિકની સમસ્યા વકરી જ છે પરંતુ સુરત શહેર પણ આ સમસ્યાથી બાકાત નથી. જેના પગલે આજે કામરેજ ચાર રસ્તા પાસે જ સ્થાનિકોએ સ્વંયભૂ ધરણા કરી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માંગણી કરી હતી. સ્થાનિકોની સમસ્યા એવી છે કે સુરત જિલ્લાના કામરેજ પાસેથી જ નેશનલ હાઇવે નંબર 8 પસાર થાય છે આ હાઇ વે અમદાવાદ મુંબઇને જોડતો હોવાથી અહી સતત મોટા વાહનો ની અવરજવર રહેતી હોય છે. ત્યારે આ હાઇ વે પર ટ્રાફિક તેમજ વાહનોના ગેરકાયદે દબાણની સમસ્યા વકરી રહી છે. આ માટે સ્થાનિકોએ સંબંધિત તંત્રને અવારનવાર આ સમસ્યા ઉકેલવા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. પરંતુ બહેરા તંત્રની સામે કોઈ રજૂઆત જાણે અથડાઈ જ નહોતી.
આથી કંટાળીને સ્થાનિકોએ આજે રસ્તા પર જ ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. અને ઘણી મોટી સંખ્યામાં કામરેજના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પંચાયત પાસે બેનરો લઇને ધરણા પર બેસી ગયા હતા. આ સિનારિયો જોતા જ તાલુકા ભવનના અધિકારીઓ સહિત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. કામરેજ ચાર રસ્તા ખાતે ચક્કાજામ અને બાદમાં ધારણા યોજાયા બાદ સ્થાનિક પોલીસ પણ દોડતી થઇ હતી અને તાલુકા ભવન ખાતે જિલ્લા પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર અને કામરેજ ગામ આગેવાનોની બેઠક પણ મળી હતી. તંત્રના અધિકારીઓ સાથે યોગ્ય ચર્ચા કરી પ્રશોના ઉકેલ ઝડપી થાય તે માટે બેઠક કરવામાં આવી હતી.