પ્રવીણ તોગડીયાની હત્યાનું કાવતરું, સુરત પાસે ટ્રક ચઢાવી દેવામાં આવીનો આક્ષેપ
થોડા અઠવાડિયા પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ પોતાની હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી છે.
થોડા અઠવાડિયા પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ પોતાની હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી છે. તેઓ તા. 7 માર્ચે સવારે 11 કલાકે વડોદરાથી સુરત તરફ પોતાની Z+ સુરક્ષા સાથે જઈ રહ્યાં હતા ત્યારે તેમની સ્કોર્પિયો કાર પર એક ટ્રક ચઢાવી દેવામાં આવી હતી. તોગડીયા કારના પાછળના ભાગેથી માંડ બચીને બહાર આવી શક્યા છે.
ડો. પ્રવિણ તોગડીયાએ આક્ષેપ લગાવ્યો હતો કે જે પ્રકારે ઘટના બની છે તે જોતા લાગી રહ્યુ છે કે કોઇ ચોક્કસ પ્લાન હેઠળ આ ઘટના બની છે. જેથી આ બાબતે ઉંડાણ પૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. તેમજ આ બનાવ બન્યો ત્યારે સ્થાનિક પોલીસ એસ્કોર્ટમાં નહોતી. જે બાબત પણ ગંભીર છે. ત્યારે પ્રવિણ તોગડીયાએ કરેલા આક્ષેપ બાદ ફરીથી વિવાદ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે પ્રવિણ તોગડીયા વિરૂધ્ધ રાજસ્થાનની પોલીસ વોરંટ આપવા આવી હતી ત્યારબાદ પ્રવિણ તોગડીયા ભેદી રીતે ગુમ થઇ ગયા હતા અને સાંજે કોતરપુર વોટરવર્કસ પાસે બેહોશ હાલતમાં મળી આવ્યા હતા અને ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા કે પ્રવિણ તોગડીયા જાતે જ ગુમ થયા હતા અને તેમના મિત્રની સાથે મળીને તેમણે તેમના ગુમ થવાના અને બેહોશ રીતે મળી આવવા પાછળ ડો.પ્રવિણ તોગડીયાએ જ કાવતરૂ રચ્યુ હતુ. જેના કારણે પ્રવિણ તોગડીયા અને ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે કે ભટ્ટ સામ સામે આવી ગયા હતા.
જે કે ભટ્ટે મિડીયાના પુરાવા પણ આપ્યા હતા જેમાં ડો.પ્રવિણ તોગડીયાના સીસીટીવી ફુટેજ તેમજ કોલ ડીટેઇલ રેકોર્ડ પણ રજુ કરી હતી. જો કે આ બાબતો સામે આવતા પ્રવિણ તોગડીયાએ પીછેહઠ કરી હતી અને તેમજ આ મામલે જે કે ભટ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે સુરતની ઘટના બાદ પણ પ્રવિણ તોગડીયા પોલીસ સામે પ્રશ્નો કરી શકે તેવી પુરી શક્યતા છે.