આવકથી વધુ સંપત્તિ કેસ : કોર્ટે તમિલનાડુના CM જયલલિતાને દોષિત ઠેરવ્યા, CM પદ ગુમાવશે?
બેંગલોર, 27 સપ્ટેમ્બર : આજે બેંગલોરની એક વિશેષ અદાલતે આવકથી વધુ સંપત્તિ કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને દોષિત ઠેરવ્યાં છે.
વર્ષ 1996માં બહાર આવેલા આ કેસમાં જયલલિતાની સાથે તેમના સહયોગી શશિકલા, તેમના દત્તક પુત્ર સુધાકરણ (જેમને પાછળથી તેમણે ત્યાગી દીધા હતા) અને શશિકલાની ભાણી ઇલાવર્સીને પણ દોષિત ગણાવ્યા છે.
એક ધારણા અનુસાર અદાલત આજે જ બપોરે 3 વાગ્યા સુધીમાં દોષિતોને સજા સંભળાવી શકે છે. જયલલિતા ઉપર 18 વર્ષ પહેલા આવકથી વધુ સંપત્તિ કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ત્યારે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા. વર્તમાન સમયમાં તેઓ ત્રીજી વાર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યાં છે. લોકસભામાં પણ તેમની પાર્ટી એઆઇએડીએમકેના 37 સભ્યો છે.
સુપ્રીમ કોર્ટ તરફથી આ કેસમાં નિષ્પક્ષ સુનવણી યોજવા માટે બેંગલોરમાં એક વિશેષ કોર્ટની રચના નવેમ્બર 2003માં કરવામાં આવી હતી. આ કોર્ટમાં એ બાબતનો નિર્ણય લેવાનો હતો કે શું જયલલિતાની પાસે 1991થી 1996 દરમિયાવ 66.6 કરોડની સંપત્તિ તેમની આવકના જાહહેર સ્રોતોની સરખામણીએ વધારે હતી કે નહીં?
આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. જેના કારણે આ કેસમાં તેઓ પહેલા પણ એક વાર પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી ચૂક્યા છે. આજના ચૂકાદાને પગલે તેમણે ફરી એકવાર મુખ્યમંત્રી પદ ગુમાવવું પડશે કે નહીં તે થોડા કલાકોમાં સ્પષ્ટ થઇ જશે.