લોકસભા ચૂંટણી 2019: ટિકિટ વહેંચણી પહેલા, પોતાના જ થઈ રહ્યા છે પારકા
ઝારખંડમાં દરેક રાજકીય પક્ષ હવે ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. ઉમેવદારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
ઝારખંડમાં દરેક રાજકીય પક્ષ હવે ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. ઉમેવદારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ચૂંટણીની તૈયારી મામલે ભલે દરેક પક્ષની કામગિરી અલગ હોય પરંતુ એક મામલે બધા પક્ષમ સમાન છે. આ સમાનતા છે પક્ષનો આંતરિક અસંતોષ. ઝારખંડના દરેક પક્ષ સામે આંતરિક અસંતોષનો ભય તોળાઈ રહ્યો છે. જુદા જુદા પક્ષના નેતાઓ બળવાખોરોને સમજાવવાની સાથે મતદારોને પક્ષમાં બધું બરાબર ચાલતું હોવાનું કહી રહ્યા છે. પરંતુ તેમના પ્રયાસો કેટલા સફળ છે, તે તો દેખાઈ જ રહ્યું છે. એવું પણ નથી કે ફક્ત એક જ પક્ષમાં બળવો થઈ રહ્યો હોય. કોઈ પક્ષમાં બેઠક છોડવા સામે અસંતોષ છે તો કોઈ પક્ષમાં ટિકિટ નહીં મળવાને લઈને. ક્યાંક જાતિ અને ધર્મના નામે પક્ષના નેતૃત્ત્વ પર દબાણ ઉભુ કરાઈ રહ્યું છે તો ક્યાંક પાછલી ચૂંટણીના રેકોર્ડને આધારે ટિકિટ મેળવવા જંગ ચાલી રહી છે.
આ પણ વાંચો: ગંગા યાત્રામાં પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ - ગરીબ નહિ અમીર રાખે છે ચોકીદાર
ભાજપના વર્તમાન સાંસદ અને ધારાસભ્યની ચેતવણી
બળવો ફક્ત વિપક્ષમાં નથી થઈ રહ્યો, સત્તાધારી પક્ષ ભાજપ અને તેનો સહયોગી પક્ષ આસજૂ પણ આ સમસ્યાનો શિકાર છે. ગિરડીહના વર્તમાન સાંસદ રવિન્દ્રકુમાર પાંડેયને જેવી ખબર પડી કે તેમની ટિકિટ કપાઈ શકે છે, તેમણે તો ચેતવણી જ આપી દીધી કે પક્ષ આ મામલે ફરી વિચારે, નહીં તો ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. તેમણે ગિરડીહ બેઠક પર અન્ય દાવેદાર અને બાઘમારાના ધારાસભ્ય ઢુલ્લુ મહતોને સ્પષ્ટ તો ન કહ્યું પરંતુ પોતાના સમર્થકો દ્વારા પક્ષના નેતૃત્ત્વને સંકેત આપ્યો કે ગિરિડીહના બદલે તેમને ધનબાદથી ઉભા રાખવામાં આવે. ભાજપે ગઠબંધનના ભાગરૂપે ગિરડીહની બેઠક આસજૂ માટે છોડી છે.
આસજૂમાં પણ સમજૂતીને લઈ સંતાકૂકડી
લોકસભાની ચૂંટણીમા પહેલીવાર ગઠબંધન સાથે લડી રહેલા આસજૂને ભાજપે ગિરડીહની બેઠક તો આપી, પરંતુ પક્ષની મુશ્કેલી ઘટી નથી. પક્ષે પહેલા ત્રણ જ બેઠક પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી, હવે માત્ર એક જ બેઠક પર સમજૂતી થઈ છે, જે પક્ષના નેતાઓને કાર્યકર્તાઓને નથી ગમી રહ્યું. આસજૂનો કોઈ નેતા ખુલીને વિરોધ તો નથી કરી રહ્યો, પરંતુ તમામનું અંગત માનવું છે કે પાર્ટી નેતૃત્વએ માત્ર એક જ બેઠક માટે સમજૂતી કરીને પગ પર કુહાડી મારી છે. પક્ષે પોતાના સ્ટેન્ડને બદલવું નહોતું જોઈતું. આમ થવાથી મતદારોમાં ખોટો સંદેશ ગયો છે. એટલુંજ નહીં પક્ષના એક જૂથનું કહેવું છે કે સહયોગી પક્ષ હોવા છતાંય છેલ્લા ચાર વર્ષમાં ભાજપે કોઈ પણ મુદ્દે આસજૂના નેતાઓ સાતે વાત નથી કરી. ફરી આ જ પક્ષ સાથે ગઠબંધન કરવું યોગ્ય નથી.
કોંગ્રેસના 2 ધારાસભ્યોનો બળવો
રાજ્યમાં વિપક્ષી મહાગઠબંધનનું નેતૃત્ત્વ કરી રહેલા કોંગ્રેસ પક્ષમાં પણ વિદ્રોહ થઈ રહ્યો છે. પક્ષે ગોડ્ડા સીટ સહયોગી પાર્ટી ઝાવિમોને આપવાની જાહેરાત કરી કે તરત જ ત્યાંના ધારાસભ્ય ડૉ. ઈરફાન અંસારી ગુસ્સે થયા છે. તેમણે ચેતવણી આપી છે કે જો ગોડ્ડા સીટ પરથી મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન મળી તો ઝારખંડની સાથે સાથે બિહાર અને બંગાળની બેઠકો પર પણ તકલીફ ઉભી થશે. તેમણે તો એટલે સુધી કહ્યું કે પક્ષના પ્રદેશ અધ્યક્ષ પોતે ઝાવિમોના સાંસદ રહી ચૂક્યા છે, એટલે તેમને કોંગ્રેસની વિચારધારાનું જ્ઞાન નથી.
તો બાદમાં સંથાલ પરગણાના જરમુંડીના ધારાસભ્ય બાદલ પત્રલેખની નારાજગી પણ સામે આવી છે. ગત મહિને રાહુલ ગાંધી રાંચી પહોંચ્યા હતા અને મોરહાબાદી મેદાનમાં રેલીને સંબોધન કર્યું હતું. આ રેલીમાં બાદલ પત્રલેખે હાજરી નહોતી આપી, ઉપરથી કારણ પુછાયું તો જવાબ પણ ન આપ્યો.બાદલ પત્રલેખે જાહેરમાં તો પોતાની નારાજગી નથી દર્શાવી પરંતુ રાહુલની રેલીનો બહિષ્કાર કરીને અંદાજ આપી દીધો છે.
ઝામુમોમાં પણ અસંતોષ
ઝારખંડના મુખ્ય વિરોધી પક્ષ ઝામુમોમાં પણ સ્થિતિ બરાબર નથી. તોરપાના ધારાબશ્ય પોલુસ સુરીન બળવાખોર દેખાઈ રહ્યા છે. ડિસેમ્બરમાં કોલેબિરામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર મેનન એક્કાને સમર્થન આપવાના ગુરુજીના નિર્ણયનો તેમણે જબરજસ્ત વિરોધ કર્યો હતો. મેનની હાર પાછળ પણ પૌલુસ સુરીન હોવાનું ચર્ચાયું હતું. તો બિશુનપુરના ધારાસભ્ય ચમરા લિંડાએ પણ લોહરદગા બેઠક છોડવાનો વિરોધ કર્યો છે. તેમણે કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે ઈચ્છો તો ત્યાં ટક્કર જોઈ લો. ચમરાએ લોહરદરગા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, સાથે જ આ માટે પોતે કંઈ પણ કરવા તૈયાર હોવાનું પણ કહી દીધું છે. આ પહેલા પક્ષના બે ધારાસભ્ય શશિભૂષણ સામડ અને દીપક બરુઆએ પણ કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈ સવાલ ઉઠાવ્યા છે.
રાજદમાં પણ ગઠબંધનને લઈ નારાજગી
ઝારખંડમાં માત્ર કેટલાક વિસ્તારોમાં જ અસ્તિત્વ ધરાવતા રાષ્ટ્રીય જનતા દળમાં પણ અસંતોષ દેખાઈ રહ્યો છે. આ અસંતોષ વિપક્ષી મહાગઠબંધનમાં તેમની સાથે થઈ રહેલા ઉપેક્ષાત્મક વહેવારને લઈ છ. પક્ષના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે ઝારખંડમાં રાજદે 2 બેઠકો પર તો ચૂંટણી લડવી જ જોઈએ. મહાગઠબંધનમાં પક્ષને માત્ર 1 જ બેઠક અપાઈ છે. એટલું જ નહીં પક્ષના સુપ્રીમો લાલુ યાદવે નક્કી કરેલા ઉમેદવારનું પણ પત્તુ કપાયું છે. ઝારખંડમાં મહાગઠબંધનની કોઈ પણ બેઠકમાં રાજદના નેતાઓને આમંત્રણ ન અપાતું હોવાની વાતે પણ પક્ષના નેતાઓ નારાજ છે.