ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિના વિરોધમાં સાધુ સંતો આવ્યા
અયોધ્યામાં જે રીતે વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં સાધુ સંતો ત્યાં ભેગા થયા
અયોધ્યામાં જે રીતે વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં સાધુ સંતો ત્યાં ભેગા થયા, ત્યારપછી એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપને રામ મંદિર સહીત બીજા મુદ્દાઓ પર સાધુ-સંતોનું સમર્થન મળી શકે છે. પરંતુ વારાણસીમાં ત્રણ દિવસ સુધી ચાલેલી ધર્મ સંસદમાં તેનાથી ઉલટું પીએમ મોદી અને યોગી પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સંતો ઘ્વારા આરોપ લગાવવા આવ્યો છે કે યોગી સરકાર અને મોદી સરકાર ભગવાન રામનું અપમાન કરી રહી છે. જયારે અયોધ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા આયોજિત કરવામાં આવેલી ધર્મસભા અંગે પણ સાધુ સંતોમાં નારાજગી છે. સાધુ સંતોએ આ ધર્મસભાને અધર્મ સભા ગણાવી છે.
આ પણ વાંચો: અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ બનશે, યોગી સરકારે મંજૂરી આપી
યોગી સરકારની આલોચના
આપને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશમાં ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ લગાવવનો નિર્ણય કર્યો છે, જેને કારણે સાધુ સંતો યોગી સરકારની આલોચના કરી રહ્યા છે. સાધુઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એવું લાગી રહ્યું છે કે સરદાર પટેલ અને ભગવાન રામ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. સાધુ સંતોએ યોગી સરકારના નિર્ણય પર રોષ પ્રગટ કરતા જણાવ્યું કે સરદાર પટેલ અને ભગવાન રામ વચ્ચે સ્પર્ધા બિલકુલ પણ યોગ્ય નથી.
ભગવાન રામની મૂર્તિનો વિરોધ
વારાણસીની ધર્મ સંસદમાં અવિમુક્તશ્વરનંદ સરસ્વતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ ભગવાનનું અપમાન છે. તેમને જણાવ્યું કે પક્ષીઓ અને જીવ-જંતુઓ ખુલ્લામાં રાખેલી મૂર્તિની આસપાસ ફરશે, જેને કારણે તેના પર ગંદગી ફેલાશે. ભગવાનની મૂર્તિ ફક્ત મંદિરમાં રાખવામાં આવી શકે છે જે ચારે બાજુથી ઘેરાયેલી હોય. વારાણસીમાં થયેલી ધર્મ સંસદનું આયોજન જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી ઘ્વારા કરાવવામાં આવ્યું હતું.
મોદી અને યોગી પર રોષ
જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા સરકાર ભગવાન રામને સરદાર પટેલ સાથે સ્પર્ધામાં ઉતારવા માંગે છે. સરદાર પટેલે કેટલાક રાજ્યોને એક કર્યા હતા, જયારે ભગવાન રામ આખા બ્રહ્માડના સ્વામી છે. તેમને જણાવ્યું કે ભગવાન રામ કોઈ રાજનેતા નથી એટલે હિંદુઓને તેમની મૂર્તિની જરૂર નથી. સ્વરૂપાનંદ સરસ્વતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યોગી અને મોદી હિંદુઓને સાંપ્રદાયિક તાકાતમાં બદલવાની કોશિશ કરી રહ્યા છે. તેમને જણાવ્યું કે ભગવાન રામની મૂર્તિ બનાવવાનો નિર્ણય હિન્દૂ વિરોધી છે.