કેમ 12 વર્ષે એક જ વાર ભરાય છે કુંભ મેળો?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ)માં વર્ષ 2019માં શરૂ થનારા અર્ધ કુંભની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. જી હાં, જાન્યુઆરી 2019માં અર્ધ કુંભ મેળો શરૂ થવાનો છે.
નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી રહી છે. એક તરફ જ્યાં વર્ષના અંતે લોકોનું ધ્યાન નવા વર્ષની ઉજવણી પર છે, તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ)માં વર્ષ 2019માં શરૂ થનારા અર્ધ કુંભની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. જી હાં, જાન્યુઆરી 2019માં અર્ધ કુંભ મેળો શરૂ થવાનો છે.
આ પણ વાંચો: કુંભ મેળા માટે યોગી સરકાર 25 કરોડની લક્ઝરી કારો ખરીદશે
હિંદુઓમાં કુંભ મેળાનું ઘણું મહત્વ છે. એટલે આ મેળાની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે. ફક્ત સામાન્ય જનતા જ નહીં પરંતુ સરકાર પણ કુંભ અંગેની નાનામાં નાની તૈયારીઓનું ધ્યાન રાખે છે. હિંદુ ધર્મનો સૌથી મોટો મેળો હોવાને કારણે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. એટલું જ નહીં પણ વિદેશી પર્યટકો પણ આ મેળામાં આવે છે. અર્ધકુંભ દર 6 વર્ષે એક વાર યોજાય છે.
કેમ કહેવાય છે અર્ધ કુંભ?
કુંભ મેળો 12 વર્ષે એક વાર ભરાય છે. આ મેળાને પૂર્ણ કુંભ કહેવાય છે. પણ દર છ વર્ષના અંતરાલમાં એક બીજો પણ કુંભ મેળો ભરાય છે, જેને અર્ધ કુંભ કહેવાય છે. કુંભ એક સંસ્કૃત શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ કળશ થાય છે.
શું હોય છે અર્ધ કુંભમેળામાં?
હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને સૌથી મોટા મેળા કુંભમાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે. કહેવાય છે કે કુંભના પવિત્ર મેળામાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. કુંભ મેળાનું આયોજન દેશમાં માત્ર 4 સ્થળે જ થાય છે. અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં જ કુંભ મેળો ભરાય છે. આ તમામ જગ્યાઓ પર 12 વર્ષે એક વાર કુંભ મેળો ભરાય છે. પરંતુ પ્રયાગરાજમાં દર છ મહિને એક વાર અર્ધ કુંભ મેળો યોજાય છે.
અર્ધકુંભના સમયે અલ્હાબાદની રોનક જ અલગ હોય છે. સાધુ સંતો, પૂજારીઓ, અઘોરીઓની હાજરી ભવ્ય પંડાલોની શોભા વધારી દે છે. અને આ મેળો ખાસ બની જાય છે. રાતની ઝાકમજોળ જોઈને કોઈ પણ વ્યક્તિ અહીં જ વસી જવા ઈચ્છે. એટલું જ નહીં ભક્તો ઉપરાંત મોટા મોટા વૈજ્ઞાનિકો પણ પોતાની શોધ માટે કુંભમાં આવે છે.
ક્યારે કરવામાં આવે છે કુંભમાં સ્નાન
અર્ધકુંભ મેળો મકરસંક્રાંતિના દિવસથી શરૂ થાય છે. મકરસંક્રાંતિના દિવસે આ મેળાનું પહેલું સ્નાન હોય છે. આ વખતે પહેલું સ્નાન 14-15 જાન્યુઆરીના રોજ થસે. આ દિવસે સ્નાન કરવાનું વધું મહત્વનું મનાય છે. કહેવાય છે કે આ મેળા દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરશે તો તેની આત્માની શુદ્ધિ થઈ જાય છે. અને મૃત્યુ સમયે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તો અર્ધકુંમાં બીજું સ્નાન પોષ મહિનાની પૂનમના રોજ થાય છે.
આ વર્ષે બીજું સ્નાન 21 જાન્યુઆરી 2019ના રોજ થશે. કુંભનું મુખ્ય સ્નાન મેળાનું ત્રીજું સ્નાન હોય છે. આ સ્નાન માઘી મૌની અમાસના દિવસે કરવામાં આવે છે. આ અર્ધકુંભમાં 4 ફેબ્રુઆરી 2019ના ત્રીજું સ્નાન થશે. અર્ધ કુંભમાં ચોથું સ્નાન વસંતપંચમીના દિવસે થાય છે. 2019ના કુંભમાં આ સ્નાન 10 ફેબ્રુઆરીના રોજ થશે. આ ઉપરાંત મેળાનું છેલ્લું સ્નાન મૌની પૂનમ એટલે કે શિવરાત્રિના દિવસે થાય છે. જે આ વર્ષે 4 માર્ચે આવી રહી છે.
કુંભનું પૌરાણિક મહત્વ
આમ તો કુંભ અંગે જાતભાતની પૌરાણિક કથાઓ છે. એક વાત છે, દેવ અને દાનવોની. કહેવાય છે કે મહર્ષિ દુર્વાસાના શ્રાપ આપ્યા બાદ ઈન્દ્ર સહિત અન્ય દેવતાઓ નબળા થઈ ગયા હતા. બાદમાં દાનવોએ દેવતાઓ પર હુમલો કરી તેમને પરાજિત કર્યા. છેલ્લે તમામ દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુ પાસે પોતાની સમસ્યાના નિવારણ માટે ગયા.
વિષ્ણુ ભગવાને તેમને દાનવો સાથે મળીને ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવાનું કહ્યું. દેવતાઓએ ભગવાન વિષ્ણુની વાત માની અને ઈન્દ્ર પુત્ર 'જયંત'ને અમૃત કળશ લઈને આકાશમાં ઉડી જવા ઈશારો કર્યો. બાદમાં રાક્ષસોએ જયંતનો પીછો કર્યો અને લાંબા સમય બાદ જયંતને અધવચ્ચે જ પકડી પાડ્યો. અમૃત કળશ માટે દેવ અને દાનવો વચ્ચે સતત યુદ્ધ થયું.
12 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન પૃથ્વી પર ચાર સ્થળોએ અમૃત ઢોળાયું. આ 4 સ્થળ એટલે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. કહેવાય છે કે દેવતાઓના આ 12 દિવસ માનવી માટે 12 વર્ષ બરાબર હતા. એટલે પૃથ્વી પર દર 12 વર્ષે કુંભનું આયોજન થાય છે.
રોડ દ્વારા
અલ્હાબાદ પહોંચવા માટે ભારતના તમામ મોટા શહેરોથી બસની સુવિધા છે. નાના શહેરોથી અહીં પહોંચવા માટે તમારે તમારા નજીકના મોટા શહેરના બસ સ્ટેન્ડ પર જઈને અલ્હાબાદની બસ પડવી પડશે. અલ્હાબાદ પહોંચ્યા બાદ તમે કુંભ સુધી ઓટો કે ટેક્સી કરી શકો છો.
પ્લેન દ્વારા
જો તમે પ્લેન દ્વારા અલ્હાબાદ આવશો તો બમરૌલી એરપોર્ટ પહોંચશો. આ ઈન્ટરસ્ટેટ એરપોર્ટ છે. દેશના કોઈ પણ વિસ્તારથી તમે અહીં પહોંચી શકો છો. એરપોર્ટથી સંગમ વચ્ચે 18 કિલોમીટરનું અંતર છે. તમે ટેક્સી દ્વારા 1 કલાક 10 મિનિટમાં સંગમ સુધી પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા
અલ્હાબાદ ઉત્તર મધ્ય રેલવેનું હેડક્વાર્ટર છે. અહીં 8 રેલવે સ્ટેશન છે. અને અહીં દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, અમદાવાદ, પટના, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર જેવા શહેરોથી ટ્રેન પહોંચે છે. આ ઉપરાંત કુંભ દરમિયાન ભીડ ઓછી કરવા માટે ટૂંકા અંતરની ટ્રેનો પણ ચાલે છે.